પ્રધાનમંત્રી આજે યુપીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં રૂપિયા 42 હજાર કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. દેશના ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપતાં પ્રધાનમંત્રી દેશભરમાં એરપોર્ટના 15 નવાં ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી લખનઉ અને રાંચીમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ (LHP)નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રીએ જાન્યુઆરી, 2021માં આ LHPનો શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ રૂ. 450 કરોડના ખર્ચે બનેલા જબલપુરમાં ડુમના એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને અન્ય નિર્માણ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહ વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે, સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા, જાહેર બાંધકામ મંત્રી રાકેશ સિંહ, રાજ્યસભા સાંસદ સુમિત્રા વાલ્મિકી સહિત તમામ જનપ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં સામેલ થશે. ડુમના એરપોર્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આજે ઉત્તર પ્રદેશમાં રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે રૂપિયા 27 હજાર કરોડથી વધારેના મૂલ્યની પરિયોજનાઓનો પણ શુભારંભ થશે. પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્મિત રૂપિયા 3 હજાર 700 કરોડથી વધારેનાં મૂલ્યની 744 ગ્રામીણ રોડ પરિયોજનાઓ દેશને અર્પણ કરશે. આ સિવાય પ્રધાનમંત્રી પ્રયાગરાજ, જૌનપુર અને ઇટાવામાં અનેક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આ પ્રકારની અન્ય પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે.
જાહેર બાંધકામ મંત્રી રાકેશ સિંહે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જબલપુર એરપોર્ટનું આધુનિકીકરણ એ માત્ર જબલપુર માટે જ નહીં પરંતુ મહાકોશલના તમામ રહેવાસીઓ માટે ગર્વની ક્ષણ છે. અમે વિકાસનો નવો અધ્યાય લખવા જઈ રહ્યા છીએ અને આ નવા ટર્મિનલ બિલ્ડિંગ અને વિસ્તૃત એરસ્ટ્રીપથી ઘણી નવી ફ્લાઈટ્સ શરૂ થશે, જેનો ફાયદો જબલપુરના સર્વાંગી વિકાસમાં થશે.
