પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 'મનકી બાત'ના 107માં સંસ્કરણ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર તેમના કાર્યક્રમ મન કી બાતના 107માં સંસ્કરણ દ્વારા દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજના દિવસે મુંબઈ પર થયેલ 26-11ના આતંકી હુમલાને યાદ કરતા તેમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમજ અન્ય કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો વિશે વાત કરી હતી.પ્રધાનમંત્રીએ કહ્યું મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે દેશ આપણા બહાદુર જવાનોને યાદ કરી રહ્યો છે જેમણે આ હુમલામાં પોતાનો જીવ આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બરે ઉજવાતા બંધારણ દિવસની તમામ દેશવાસીઓને શુભકામના આપી હતી..અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા હતા..પીએમ મોદીએ લોકતંત્રને મજબૂત બનાવવામાં નારી શક્તિના યોગદાનને મહત્વનું ગણાવતા બંધારણ સભાના સભ્ય હંસા મહેતાને યાદ કર્યા, જેઓએ મહિલાઓના અધિકાર અને ન્યાયના અવાજને ઉઠાવ્યો હતો.
દર વખતની જેમ આ વખતના એપિસોડમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલને મહત્વ આપ્યુ હતુ..તહેવારોમાં દેશને 4 લાખ કરોડના વ્યવસાય પર દેશના લોકોનો આભાર માન્યો હતો..સાથે જ દેશના કેટલાંક પરિવારોમાં વિદેશોમાં લગ્નો કરવાના કલ્ચરને રોકવાની અપીલ પણ કરી હતી..એ લગ્ન ભારતમાં જ કરીને દેશના લોકોને તેના સહભાગી બનાવવાની વાત કરી હતી. દેશમાં થઈ રહેલ ડિજિટલ ક્રાંતિને જોતા વધુ એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ડિજીટલ પેમેન્ટ કરવા આગ્રહ કર્યો હતો..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટેલિજન્સ, આઈડિયા અને ઈનોવેશનને આજના ભારતીય યુવાનોની ઓળખાણ ગણાવતા યુવાનોને શુભકામના આપી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની યુવા શક્તિની પ્રશંસા કરતા 'મેલા મોમેન્ટ્સ કોન્ટેસ્ટ'ની વાત કરી હતી. જેમાં ગ્રામિણ બંગાળના લોકપ્રિય ચરક મેળામાં ફુગ્ગા અને રમકડાઓ વેંચનારનો અદભૂત ફોટો લઇ ઈનામ મેળવનાર કોલકાતાના રાજેશ ધરનું ઉત્તમ ઉદાહરણ આપ્યુ હતુ.
દેશભરમાં સફળ બનેલ સ્વચ્છતા અભિયાનને યાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતની એક યુવા ટીમે શરુ કરેલ 'પ્રોજેક્ટ સુરત'ની વાત કરી હતી.જેનો ઉદ્દેશ સુરત શહેરને એક એવુ મોડલ શહેર બનાવવાનું છે, જે સ્વચ્છતા અને પ્રખર વિકાસની મિસાલ બની શકે આ સાથે જ પ્રધાનમંત્રીએ અંબાજીમાં યોજાયેલ ભાદરવી પૂનમના મેળામાં આવેલ યાત્રિકોએ ગબ્બરમાં ચલાવેલ સફાઈ અભિયાનને પ્રેરણાદાયી ગણાવ્યુ હતુ..
આ સાથે જ પ્રધાનમંત્રીએ 21મી સદીના પડકારજનક 'જળ સરક્ષણ' મુદ્દા પર ભાર મુક્યો હતો અને અમરેલીમાં જળ ઉત્સવનું આયોજન કરનાર સુરતના ડાયમંડ બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયાને અભિનંદન પાઠવ્યા હતા.
મહિલા સશક્તિકરણ, બાળ મજૂરી અને ખેડૂતોના કૌશલ્યના વિકાસ માટે કામ કરતી આંધ્રપ્રદેશના શ્રીકાકુલમની સંસ્થા 'બેલ્જીપુરમ યુથ ક્લબ'ની પ્રશંસા પણપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં કરી હતી. સ્કિલ ડેવલપમેન્ટ થકી લોકોને આવકનું સાધન અપાવનાર આ સંસ્થાના સામુહિક પ્રયાસો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યા હતા.
આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમ પણ જણાવ્યુ હતુ કે મન કી બાત કાર્યક્રમે માત્ર દેશ કે સમાજમાં મોટા પરિવર્તન જ નથી લાવ્યા પણ રેડિયોની લોકપ્રિયતામાં પણ વધારો કર્યો છે. આ કાર્યક્રમની સફળતા બાદ લોકોની રેડિયો મ્યુઝિયમ પ્રત્યે ઉત્સુકતા વધી છે. જેમાં અમદાવાદના પ્રેરણાતીર્થ પાસે રાખેલ રેડિયો પ્રદર્શીનીમાં દેશ-વિદેશના 100થી વધુ એન્ટિક રેડિયો મુકાયેલ છે, અહીં મનકી બાતના અત્યાર સુધીના તમામ એપિસોડ સાંભળી શકાય છે.
છેલ્લે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દેવ દેવાળી અને ગુરુનાનક જયંતિની શુભકામના આપતા કાર્યક્રમની સમાપ્તી કરી હતી અને આ વર્ષે મળેલ સિદ્ધિઓનો ઉલ્લેખ કરી દેશવાસીનો આભાર માન્યો હતો.
