પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવાશે રાષ્ટ્રીય એકતા દિવસ
Live TV
-
ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં 31 ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે સરદાર પટેલ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે. તથા સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રજાજનોને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ પણ લેવડાવશે.
સાથે, તેઓ એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટેના રૂ. 196 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરશે. પ્રધાનમંત્રી એકતાનગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે ચાલનારી હેરીટેજ ટ્રૈનને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવશે. રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કચ્છના લખપતના કિલ્લાની 106 મીટર લાંબી પ્રતિકૃતિ રજુ કરવામાં આવી છે.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ યોજાનારી પરેડમાં અર્ધ લશ્કરી દળો સાથે 5 રાજ્યોના પોલીસ વિભાગ જોડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છના લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે પોતાનું પ્રેરક ઉદબોધન કરશે. ત્યારબાદ પોલીસજવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. તેના પશ્ચાદભૂમાં આ કિલ્લો હશે. લખપતનો કિલ્લો દેશના એ ચુનિંદા કિલ્લાઓ પૈકીનો એક છે, જ્યાં આજે પણ સ્વાતંત્ર્ય દિને અને પ્રજાસતાક દિને ધ્વજવંદન કરાય છે અને પાકિસ્તાન બોર્ડર સમીપે આવેલા આ ઐતિહાસિક સ્થળે શાનથી તિરંગો લહેરાય છે.
જાણો, લખપતના કિલ્લાનો ઇતિહાસ
18મી સદીમાં લખપત બંદર દરિયાકાંઠાનો વેપારનું મહત્વપૂર્ણ હબ હતું. કિલ્લા નજીક ઐતિહાસિક ગુરુદ્વારા આવેલી છે. એવું માનવામાં આવે છે કે ગુરુ નાનક તેના બીજા (1506–1513) અને ચોથા (1519-1521) પ્રવાસ દરમિયાન બે વાર અહીં રોકાયા હતા. લખપતનો કિલ્લો અહીંના ભવ્ય વારસાની યાદ અપાવે છે. કહેવાય છે કે, અહી શાસકોના નામ પરથી કિલ્લાનું નામ લખપત પડ્યું હતું તો બીજી તરફ અહીં સિંધુના વહેણ વહેતા એટલે લાલ ચોખાની ખેતી થતી અને દરરોજ લાખોની આવક થતી એટલે બંને પણ લખપત નામ પડ્યું હોવાનું કહેવાય છે,આ સ્થળ શિખો માટેનું પવિત્ર યાત્રાધામ છે.
16 જૂન 1819ના રોજ 7.9 મૅગ્નિટયૂડનો અતિ વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેને કચ્છના નકશામાંથી સિંધુનું વહેણ ગાયબ કરી અલ્લાહબંધ સર્જી દીધો હતો. સિંધુ નદીની એક ચેનલ જે નરાથી ઓળખાય છે ત્યાં જ આ બંધ સર્જાઈ જતાં કચ્છથી વિખૂટી પડી ગઈ હતું. માત્ર સિંધુનું વહેણ પણ આ સાથે કચ્છના પશ્ચિમી છેવાડે આવેલા લખપત બંદરનું ઓમાન કરાચી જેવા દેશો સાથેનું ઇનલેન્ડ નેવિગેશન બંધ થઇ ગયું અને વહાણવટા ઉદ્યોગ અને લખપત કાયમ માટે આર્થિક રીતે પડી ભાંગ્યું હતું,આજે કિલ્લાના અવશેષ તેના સાક્ષી પૂરે છે.
