રાજધાનીમાં ગંભીર વાયુ પ્રદૂષણ વચ્ચે 9મી થી 18 મી નવેમ્બર સુધી શાળાઓમાં રજાઓની જાહેરાત
Live TV
-
રાજધાનીમાં ગંભીર વાયુ પ્રદૂષણ વચ્ચે 9મી થી 18 મી નવેમ્બર સુધી શાળાઓમાં રજાઓની જાહેરાત
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ગંભીર શ્રેણીમાં નોંધાઇ રહ્યું છે. કેન્દ્રીય પોલ્યુશન નિયંત્રણ બોર્ડ અનુસાર દિલ્હીમાં AQI 400ને પાર પહોંચી ગયો છે. પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાને લઇને કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ દિલ્હી- એનસીઆરમાં સમીક્ષા બેઠક કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM), કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તેમના મંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે વાયુ પ્રદૂષણની સ્થિતિની સમીક્ષા કરી. પત્રકારો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પ્રદૂષણના સ્તર પર સુપ્રીમ કોર્ટની ચિંતા સ્વાભાવિક છે. તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલતનું કહેવું યોગ્ય છે કે આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ અને પ્રદૂષણને અંકુશમાં લેવા માટે પરાળી બાળવાનું બંધ કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પરાળી બાળવા અંગે પહેલાથી જ સૂચનાઓ આપવામાં આવી છે. સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હવાની ગુણવત્તામાં વધુ બગાડ અટકાવવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના તબક્કા-IV મુજબ 8-પોઇન્ટનો એક્શન પ્લાન પહેલેથી જ લાગુ કરવામાં આવ્યો છે.
વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં
રાષ્ટ્રીય રાજધાનીમાં ગંભીર વાયુ પ્રદૂષણ વચ્ચે દિલ્હી સરકારે 9 મી થી 18 મી નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળાની રજાઓની જાહેરાત કરી છે. આ હેઠળ, 8-પોઇન્ટ એક્શન પ્લાન અમલમાં મૂકવાની જોગવાઈ છે. જેમાં દિલ્હીમાં ટ્રક ટ્રાફિકના પ્રવેશ પર પ્રતિબંધ (આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડતી ટ્રક સિવાય) અને દિલ્હીમાં નોંધાયેલા તમામ ડીઝલ-સંચાલિત વાહનો, એલએનજી, સીએનજી, ઈલેક્ટ્રિક ટ્રક સિવાય સામેલ છે. મિડિયમ ગુડ્સ વ્હિકલ (MGV) અને હેવી ગુડ્સ વ્હિકલ (HGVs) પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે આગામી આદેશ સુધી 50% સરકારી કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' પોલિસી પણ જાહેર કરી છે.
