છોટાઉદેપુરઃ આદિવાસી સંસ્કૃતિના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'પાણગુ' ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
Live TV
-
છોટાઉદેપુરઃ આદિવાસી સંસ્કૃતિના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'પાણગુ' ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
સામાન્ય રીતે આદિવાસી સંસ્કૃતિ અને તેની અનોખી પરંપરાઓની ઝલક માત્ર અંતરિયાળ ગામડાઓમાં જ જોવા મળતી હોય છે. પરંતુ સમય બદલાયો છે, પણ આદિવાસી સમાજ પોતાની પરંપરાઓ ભૂલ્યો નથી. આધુનિકતાના આ યુગમાં શહેરોમાં વસતા આદિવાસી પરિવારો પણ પોતાની ભવ્ય વિરાસતને જીવંત રાખી રહ્યા છે.
આવી જ એક સુંદર તસવીર જોવા મળી છોટાઉદેપુર શહેરના ડિસ્ટલી ફળિયામાં. જ્યાં શહેરી વિસ્તારમાં વસવાટ કરવા છતાં પોતાની પરંપરા પ્રત્યેનો લગાવ અકબંધ જોવા મળ્યો છે. અહીં રહેતા જીવનભાઈ રાઠવાએ પોતાના નિવાસસ્થાને આદિવાસી સંસ્કૃતિના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'પાણગુ' ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. જ્યારે ઘરે પિઠોરા દેવની આકૃતિઓ દીવાલ પર કંડારવામાં આવે છે, ત્યારે તેની પૂર્ણાહુતિ રૂપે આ પાણગુ વિધિ કરવામાં આવે છે. મધ્યરાત્રિએ ઢોલના તાલે અને પરંપરાગત ગીતો સાથે પૂર્વજો અને પ્રકૃતિની પૂજા કરવામાં આવી હતી.
જીવનભાઈના ઘરે યોજાયેલા આ પ્રસંગે આસપાસના શહેરીજનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, કારણ કે સામાન્ય રીતે ગામડાઓમાં જોવા મળતી આ વિધિ આજે શહેરની વચ્ચે ધામધૂમથી ઉજવાઈ રહી હતી. શહેરી સંસ્કૃતિ વચ્ચે પણ પોતાની મૂળ સંસ્કૃતિ અને સંસ્કારોને જાળવી રાખવાનો જીવનભાઈ રાઠવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે. આ ઉત્સવ સાબિત કરે છે કે આદિવાસી સમાજ ભલે ગમે તેટલો ભણે-ગણે કે શહેરમાં સ્થાયી થાય, પરંતુ તેના પૂર્વજોની પરંપરા અને સંસ્કૃતિ હંમેશા તેના હૃદયની નજીક રહે છે.
