સુરતઃ રોમા પટેલે બનાવ્યા ચોકલેટના ગણપતિ, દૂધમાં કરાશે વિસર્જન
Live TV
-
છેલ્લા ઘણા સમયથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના અંગે લોકોમાં જાગૃતિ આવી છે. ગણપતિ વિસર્જનના નામે નદીમાં થતું પ્રદૂષણ પણ ઘણા અંશે ઘટી રહ્યું છે. હવે લોકો ઘરમાં જ ગણેશજીની સ્થાપના કરી ઘરે જ ગણપતિજીને પાણીમાં વિસર્જિત કરી રહ્યા છે.
કોરોનાની અસરના કારણે જાહેરમાં મૂર્તિ સ્થાપનાની જગ્યાએ લોકોએ ઘરમાં જ શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી છે. જેમાં ચોકલેટના ગણપતિની મૂર્તિ હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ ગણેશજીની ચોકલેટની પ્રતિમાનું ઘરે જ દૂધમાં વિસર્જન કરીને પ્રસાદ વહેંચાશે.
સુરતમાં રહેતા રોમા પટેલે પોતાના ઘરમાં ઈમ્યુનિટી વધારતા ચોકલેટના ગણેશજીની સ્થાપના કરી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ 100 ટકા વેજીટેબલ ચોકલેટમાંથી 14 કિલો વજન અને 2 ફુટની લંબાઈવાળા ફેન્સી ગણેશજીની પ્રતિમા તેમણે બનાવી છે. જેનું વિસર્જન ઘરમાં જ 60 લિટર દૂધમાં કરાશે અને આ ચોકલેટવાળું દૂધ ગરીબ બાળકો કે અનાથ આશ્રમમાં આપવામાં આવશે.
કતારગામમાં સુમુલ ડેરી પાસે શાંતિનિકેતનમાં રહેતા રોમા પટેલ એક ચોકલેટ મેકર છે. તેમણે બે દિવસની મહેનત કરી ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યાં છે. ગણપતિની પ્રતિમામાં પાઘડી, મોદક, કાનની બુટી, દાંત સહિતનું આર્ટવર્ક કરવામાં આવ્યું છે. સુંઢનો પણ વિશિષ્ટ શણગાર કરાયો છે. સુરત શહેરમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાની જાણે હોડ લાગી હોય, ત્યારે ચોકલેટના ગણેશજી હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
