WC માં ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું,સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે
Live TV
-
વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું, સેમિફાઇનલમાં જીત સાથે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ગઈકાલે રાત્રે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે નેધરલેન્ડ્સને 160 રને હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં તેમની સૌથી લાંબી જીતનો સિલસિલો નોંધાવ્યો. મેન ઇન બ્લુ સતત નવમી જીત સાથે ટુર્નામેન્ટમાં અજેય રહ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 410 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 84 બોલમાં તેની પ્રથમ ODI વર્લ્ડ કપ સદી ફટકારી હતી અને 128 રન સાથે અણનમ રહ્યો હતો.જ્યારે કે.એલ રાહુલે 62 બોલમાં સદી ફટકારી હતી, જે ODI વર્લ્ડ કપમાં ભારતના બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી છે. તેમના સિવાય રોહિત શર્માએ 61 જ્યારે વિરાટ કોહલી અને શુભમન ગીલે 51-51 રન બનાવ્યા હતા. નેધરલેન્ડ માટે બાસ ડી લીડે બે વિકેટ ઝડપી હતી.
નેધરલેન્ડ 47.5 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતીય બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ એક-એક વિકેટ લીધી હતી. નેધરલેન્ડ માટે તેજા નિદામાનુરુએ સૌથી વધુ 54 રન બનાવ્યા હતા.
શ્રેયસ અય્યરને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપની સેમિફાઇનલ લાઇન-અપ ડ્રો થઈ ગઈ છે. બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે.બીજી સેમીફાઈનલમાં, ઓસ્ટ્રેલિયા ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સાથે ટકરાશે. બંને મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ સામે વર્લ્ડ કપ મેચમાં જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે, અમારી ક્રિકેટ ટીમ માટે દિવાળી વધુ ખાસ બની જાય છે. નેધરલેન્ડ સામેની શાનદાર જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન. કૌશલ્ય અને ટીમ વર્કનું આવું પ્રભાવશાળી પ્રદર્શન. તેમણે સેમી ફાઇનલ માટે શુભેચ્છાઓ પાઠવી.
