જાણો, ગુજરાતમાં મહાશિવરાત્રીની ઉજવણી કેવી રીતે થઈ?
Live TV
-
જાણો, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેવી રીતે ઉજવાણી મહાશિવરાત્રી
- અમદાવાદ
અમદાવાદમાં ઓઢવ ખાતે આવેલ અંબિકાનગર સોસાયટી દ્વારા મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના રહીશો દ્વારા કેદારનાથ મંદિરની ઝાંખીનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું અને શહેરમાં પહેલીવાર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અહી કેદારનાથ મંદિરનું પ્રતિકૃતિ રુપે મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ ભકતજનો દ્વારા દેશવની પવિત્ર નવ નદીઓના જળમાંથી બનાવેલી બરફની ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહી વહેલી સવારથી જ ધૂન ભજન, અન્નકૂટ મહાઆરતી અને રુદ્રા અભિષેક યજ્ઞમાં ભકતજનો ભારે ઉલ્લાસપૂર્વક જોડાયા હતા. સાથે સાથે નિશુલ્ક આરોગ્ય તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
- ખેડા
ખેડાના નડિયાદ ખાતે ભગવાન શંકરની પ્રતિમાને બેસાડી નગરમાં ફેરવવામાં આવી હતી. તેમજ લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન થયું હતું. જ્યારે નડિયાદના મોટા કુંભનાથ મહાદેવ મંદિરે સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી. એવું કહેવાય છે કે દેવો આકાશ માર્ગે અમૃત કુંભ લઈને પ્રયાણ કરતા હતા, ત્યારે કેટલાક બિંદુઓ આ મહાદેવના મંદિર પાસે પડતા તેમાંથી સ્વયંભૂ શિવલિંગ ઉદ્ભવ થયું હતું. તે ઉપરાંત નડિયાદના સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્ર નવલકથાનો પ્રથમ અધ્યાય લખવાની શરૂઆત આ મંદિર પાસે આવેલ તળાવના કિનારે કરી હતી.
- દ્વારકા
દ્વારકાના દરિયાની વચ્ચે આવેલા ભડકેશ્વર મહાદેવ મંદિરમાં આ વર્ષે પણ શિવરાત્રી નિમિત્તે લોકમેળો યોજાયો હતો. જેને લઇ ગઇકાલે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. લગભગ 50 હજાર લોકોએ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાના રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ સેવાનો લાભ લીધો હતો. તો ખંભાળિયા ખાતે મહાશિવરાત્રીના અવસરે રંગ મહેલ શાળા પાસે વિદ્વાન ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર તથા શણગાર સાથે શિવ વરણાંગી નીકળે છે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પરત ખામનાથ મહાદેવ મંદિરે પહોંચે છે, જયાં આ શિવ શોભાયાત્રા પૂર્ણ થાય છે. આ શિવ વરણાંગી ૧૦૦ થી વધુ વર્ષોથી નિકળે છે. અતિ વજનદાર શીવ વરણાંગીને માત્ર બ્રાહ્મણો દ્વારા પાલખીને ઉપાડી પરંપરાગત પહેરવેશ ધારણ કરીને, હર હર મહાદેવના નારા સાથે શહેરમાં ભ્રમણ કરવામાં આવે છે.
- અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ધનસુરા માં આવેલ શુળપાણેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ ના પર્વ ને લઈ રાત્રિની ચાર પ્રહર ની પૂજા યોજાઇ હતી. જેમાં 62 લોકોએ ભાગ લીધો હતો. ગઈકાલે મહાશિવરાત્રીના પર્વ ને લઈને ભક્તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મંદિર માં દર્શન માટે ઉમટયા હતા. ભક્તોએ ભગવાનનાં દર્શનનો અને પ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રી ને લઈ ધનસુરા તાલુકા ના શિવાલયો હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠયા હતા. ભક્તોએ દુધ,બિલીપત્ર અને ફૂલો ચઢાવી ભગવાનની પૂજા કરી હતી.
- દીવ
મહાશિવરાત્રિના પાવન પર્વ પર દીવના સોમનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. દિવનાં સોમનાથ મંદિરમાં સ્વયંભૂ લિંગ જમીનથી 54 મીટર નીચે છે. જેની સરખામણી ગીર સોમનાથના સોમનાથ મંદિર સાથે કરવામાં આવે છે. ભક્તોએ શિવ- પાર્વતી, ગણપતિની ચાંદીની મૂર્તિઓના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શિવરાત્રીના પાવન પ્રસંગે સોમનાથ મંદિરમાં સવારે 6 વાગે મંગલા આરતી કરવામાં આવે છે, ત્યારબાદ પાંચ પંડિતો દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે છે. સાંજે દીપ માળા અને 9 થી 12 માં ફરી રુદ્રાભિષેક અને પંચવકર મહાપૂજા નું આયોજન કરવામાં આવે છે રાત્રે મહાઆરતી સાથે મહભોગ પણ ધરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લીધો.
- પોરબંદર
પોરબંદરના ભોજેશ્વર મહાદેવને મહાશિવરાત્રીએ સવા કિલો સોનાનો શણગાર કરાયો હતો. છેલ્લા 200 વર્ષથી આ મંદિરે ભગવાન શિવજીને શિવરાત્રી નિમિત્તે 24 કલાક માટે સવા કિલો વજનના સોનાના દાગીથી શણગાર કરાય છે. જેમાં સોનાની ચાર બંગડી, બિલીપત્ર, સોનાના કંદોરો, ટોપ, કળશ, પગના ઝાંઝર, મુગટ, જય પુરી જળતરનો ચાંદલો સહિતના આભૂષણો હોય છે.
- ખેડબ્રહ્મા
શિવરાત્રીના દિવસે ખેડબ્રહ્માના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં 27 યજમાન દંપતિની યજમાનપદે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો હતો. જેમાં વિધવાન બ્રાહ્મણો દ્રારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લઘુરુદ્ર કરાવ્યો હતો. જ્યારે ગામ વિસ્તારમાં આવેલ સ્વયંભૂ નિલકંઠ મહાદેવજીને 56 ભોગ તથા અવનવી મીઠાઈ તથા વાનગીઓ શિવજીને ધરાવાઈ હતી. જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.