અમદાવાદના રિવરફ્રન્ટ પર રાજ્યસ્તરીય યોગ દિવસની ઊજવણી, મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ કર્યા યોગાસન
Live TV
-
નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ અને રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'માનવતા માટે યોગ' રાખવામાં આવી છે. રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રાજ્યસ્તરીય યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ અને રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌદર્ય સ્થળો ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ યોજાયા હતા. રાજ્ય સરકારે આ વર્ષે યોગને પ્રવાસન સાથે જોડીને રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન કર્યું હતું. રાજ્યમાં યોગદિવસની ઊજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમજ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવી હતી. અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી પણ કરાઈ હતી.
રાજ્યની 45,000 પ્રાથમિક શાળાના 84,65,000 વિદ્યાર્થીઓ તેમજ 3,23,000 શિક્ષકો, 12,500 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 28,43,000 વિદ્યાર્થીઓ અને 89,000 શિક્ષકો, 2,600 યુનિવર્સિટી-કોલેજીઝના 16,14,000 વિદ્યાર્થીઓ અને 60,000 અધ્યાપકો, રાજ્યની 287 આઈ.ટી.આઈ.દીઠ 100 વિદ્યાર્થીઓ એમ કુલ 28,700 વિદ્યાર્થીઓ પણ આ ઊજવણીમાં જોડાયા હતા. સાથો સાથ રાજ્યના 1,477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 6,500 પેટાકેન્દ્રો પર કુલ 12,70,400 લોકોએ યોગ કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ યોગ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આઝાદીનો અમૃત મહોત્સવ આરોગ્યનો અમૃતકાળ બને અને દરેકના જીવનમાં યોગ અમૃત ફેલાવે. ગુજરાતમાં ૭૫ આઈકોનિક સ્થળો પર યોગપ્રેમીઓ થકી યોગદિવસની ઊજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશ, ધર્મ, નાતિ-જાતિના લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યાં છે અને યોગ-પ્રાણાયમ સાથે તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહ્વાન પણ કર્યું છે. વિશ્વના 130થી પણ વધુ દેશો યોગાભ્યાસ દ્વારા ભારતીય સંસ્કૃતિની ગહનતાનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતમાં 1 લાખથી વધુ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે અને આ ટ્રેનર અન્ય લોકોને યોગ શીખવાડી રહ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર યોગ દિવસની ઉજવણીમાં સવા કરોડ લોકો જોડાયા છે. આઝાદી ના અમૃત મહોત્સવના ભાગરૂપે આજે ગુજરાતનાં 75 આઇકોનિક સ્થાનો પર પણ યોગ દિવસ ઊજવવામાં આવ્યો છે.
અમદાવાદના મેયર કિરીટભાઇ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, રમત - ગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, સર્વે સાંસદશ્રીઓ, સર્વે ધારાસભ્યોશ્રીઓ, સર્વે કોર્પોરેટરશ્રીઓ, અમદાવાદ ભાજપા પ્રમુખ અમિત શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલ તેમજ મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા.
