અમદાવાદમાં યોજાઇ પ્રાકૃતિક ખેતી વિસ્તરણ કાર્યકરોની તાલીમ
Live TV
-
અમદાવાદ જિલ્લાના વિવિધ ગામના 115 જેટલાં ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તાલીમ સહિત વિવિધ સહાય યોજનાઓ સંદર્ભે માહિતી મેળવી
રાજ્ય સરકારના સફળ પ્રયત્નોના પરિણામે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. રાજ્યના કૃષિ અને બાગાયત વિભાગ સહિત આત્મા (એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ બાબતે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવા પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આવા જ એક પ્રયાસના ભાગરૂપે આજે અમદાવાદમાં આવેલ સાબરમતી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી વિસ્તરણ કાર્યકરોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અનુરોધ કરતા જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય એ આજના સમયની માંગ છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે રાજ્ય સરકારે અભિયાન ઉપાડ્યું છે ત્યારે આપણે પણ એ દિશામાં આગળ વધી સુખી- સમૃદ્ધ અને તંદુરસ્ત જીવન જીવીએ.
આજે યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના પાંચ તાલુકાના ગામના 115 જેટલાં ખેડૂતો સહભાગી થયા હતા. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, બાગાયતી પ્રાકૃતિક કૃષિ, પશુપાલન સહિત વિવિધ સહાય યોજનાઓ સંદર્ભે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમના પ્રારંભમાં અમદાવાદ જિલ્લા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે. કે.પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. જિલ્લા ખેતી અધિકારી એચ.આઈ.પટેલ, પ્રાકૃતિક ખેતી જિલ્લા સંયોજક ગજેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા સહ સંયોજક શક્તિસિંહ વાઘેલા તેમજ અમદાવાદના વિવિધ તાલુકા અને ગામમાંથી પધારેલ ખેડૂતો અને ખેતી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
