ગુજરાતની જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ
Live TV
-
ગુજરાતના કુલ 49 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.37 ટકા જળ સંગ્રહ
ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 3,00,004 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 89.92 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,46,857 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.92 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 49 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે 13 જળાશયો 90 ટકાથી 100 ટકા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના 40 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત 20 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 41 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.
આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં 2,67,807 ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં 60,534 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.37 ટકા, સૌરાષ્ટ્રના 141માં 53.17 ટકા, કચ્છના 20 જળાશયોમાં 51.48 ટકા, મધ્ય ગુજરાતના 17માં 50.48 ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.65 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.
