છોટાઉદેપુર: દિલ્હીથી આવેલી ટીમે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી, નુકસાનીના સર્વેની સમીક્ષા કરી
Live TV
-
ગત 10 જુલાઈ અને ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલી નુકસાનીના સર્વેની સમીક્ષા કરવા દિલ્હીથી ત્રણ સદસ્યોની ટીમે છોટાઉદેપુરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર ડો, સુભાષચંદ્રા ,જળશક્તિ મંત્રાલયના અધિક્ષક ઈજનેર વાય. એસ. વારસનેય અને ઊર્જા મંત્રાલયના નાયબ નિયામક નીરજા વર્મા આમ ત્રણ સદસ્યોની ટીમે મુલાકાત લીધી હતી. જેમાં બોડેલી તાલુકાના પુર અસરગ્રસ્ત એવા ખોડિયા, પાણેજ અને નસવાડી તાલુકાની મુલાકાત લઈ અસરગ્રસ્ત ખેડૂતો સાથે નુકસાન અંગે જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં, ખેતીવાડી ક્ષેત્રે 1 લાખ 30 હજાર 555 હેકટર વિસ્તારના સર્વેમાં 51 હજાર હેકટર વિસ્તારમાં નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. જ્યારે પશુપાલનમાં 132 પૈકી 76 પશુઓના મળેલા મૃતદેહને લઈ 17.36 લાખની સહાયની ચુકવણી કરી દેવામાં આવી છે, ટીમ દ્વારા સમગ્ર અહેવાલ કેન્દ્રના સંબંધિત મંત્રાલયોમાં સુપરત કરવામાં આવશે જે આધારે કેન્દ્ર સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરાશે. મહત્વપૂર્ણ છે કે, કેન્દ્ર સરકારની ટીમે બોડેલી તાલુકા સેવા સદન ખાતે જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. ગત 10 જુલાઈ અને ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.
