દેશનાં સૌ પ્રથમ ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2નું મુખ્યમંત્રી 26મી જૂને કરશે લોકાર્પણ
Live TV
-
દેશનાં સૌપ્રથમ અને વિશ્વનાં ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 26મી જૂને લોકાર્પણ કરશે. મહીસાગર જિલ્લાનાં બાલાસિનોર ખાતેથી 11 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેનાં દેશનાં સૌ પ્રથમ અને વિશ્વનાં ત્રીજા ફોસીલ પાર્ક ખાતે રૂ. 16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2માં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહેશે.
દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત ફોસીલ પાર્કની મુલાકાતે આવતા શાળાનાં બાળકોથી માંડી ડાયનાસોરની સૃષ્ટિના અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો, પુરાતત્વવિદો, સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો-ગાથાઓ જાણવા મળે તે માટે આ મ્યુઝીયમમાં 5-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી, એક્સપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, 3-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
રૈયોલીની મુલાકાતે આવતા પ્રવાસીઓ, સંશોધનકર્તા તથા પેલિયોન્ટોલોજિસ્ટને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તથા એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી-બાલાસિનોર ખાતે ભારત સરકારના પ્રવાસન વિભાગની રૂ. 345 લાખની અને રાજય સરકારની ગ્રાન્ટ મળી કુલ રૂ. 571.33 લાખનાં ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે ટુરિસ્ટ ઇન્ફોર્મેટીક સેન્ટર, જ્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રીટેશન સેન્ટરની અંદર ડાયનાસોર માટેના મ્યુઝિયમ ફેઝ-1 રાજય સરકારની રૂ. 703 લાખની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૈયોલી-બાલાસિનોર ખાતે તેયાર કરવામાં આવેલ મ્યુઝિયમ ફેઝ-1માં રીયલ સાઇઝ તથા સ્કેલ મુજબનો રાજાસ્વરસના ડાયનાસોરનું સ્ટેચ્યુ, સ્કેલડાઉન કરેલા વિવિધ 25 થી 30 ડાયનાસોરના સ્ટેચ્યુ, 3-ડી સ્ટીરિયો સ્કોપીક થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, 3-ડી પ્રોજેકશન મેપીંગ, ઇન્ટર એકટીવ ટચ સરફેસ, ગુજરાત, ભારત તથા દુનિયાભરના ડાયનાસોરની વિગત દર્શાવતા રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ડાયનાસોરનાં રીયલ દેખાતા ફોસિલ ડિસ્પ્લે રૂમ, ફાયર સેફટી સહિતની સેવાઓની સાથે હવે મ્યુઝિયમ ફેઝ-2માં તૈયાર કરવામાં આવેલ સુવિધાઓ હવે ડાયનાસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો માટે વિશાળ તકો ઉપલબ્ધ બનાવશે.
રૈયોલી-બાલાસિનોરના ફોસીલ પાર્ક-ડાયનાસોર ખાતે બે મ્યુઝિયમનું નિર્માણ થતાં વિશ્વના પ્રવાસનાં નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમકશે અને વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર ભૂમિકા નિભાવવામાં આ મહત્વનું બની રહેશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનાં રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવીને રાજય સરકારે નાનકડા રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યું છે.
આજે રૈયોલી-બાલાસિનોર ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપી રહ્યું છે જેના કારણે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસિત આ સ્થળ આજે વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે. ગુજરાતે દેશના પ્રવાસન ક્ષેત્રને ભારતના જુરાસિક પાર્ક - રૈયોલીના ડાયનાસોર પાર્કની એક અમૂલ્ય ભેટ આપી છે. બીજી ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, જિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના મંતવ્ય પ્રમાણે ડાયનાસોર જીવાશ્મિનો એક અદ્દભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે. વિશ્વનાં અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યાં છે તેની તુલનામાં રૈયોલીમાં મળેલા જુદાં-જુદાં પ્રકારના ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ અને સંશોધન માટે મહત્વના છે જેસાડા 6 કરોડ વર્ષ જૂનાં આ અવશેષો હોવાનું મનાઇ રહ્યું છે. આમ, વિશાળકાય ડાયનાસોરના લગભગ 65 મિલિયન વર્ષના ઇતિહાસને રજૂ કરતો ભારતનો આ સૌપ્રથમ અને અદ્યતન ખોદકામથી પ્રદર્શન સુધીની ગાથા રજૂ કરતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બની રહેશે અને વૈશ્વિક પ્રવાસનના નકશા પર ચમકનારો બની રહેશે.
આ પ્રસંગે પ્રવાસન રાજય મંત્રી પૂર્ણેશ મોદી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વાહન વ્યવહાર-પ્રવાસન રાજય મંત્રી અરવિંદ રૈયાણી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજય મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોર, આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથાર, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, પ્રવાસન સચિવ હારીત શુકલ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના વહીવટી સંચાલક આલોકકુમાર પાંડે, જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
