મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, પાકના નુકસાનના સર્વે સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા થશે
Live TV
-
ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ એક ખાતે કેબિનેટ બેઠક ચાલી રહી છે. કેબિનેટની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ, વરસાદની તેમજ વાવણીની સ્થિતિ અને પાકના નુકસાનના સર્વે તથા રાજ્યના જળાશયોમાં પાણીની આવકને લઈને પણ આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.
બીજી બાજુ સમગ્ર રાજ્યમાં પશુઓની અંદર લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે લમ્પી વાયરસની વર્તમાન સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ પશુઓને લમ્પી વાયરસથી બચાવવા શું ઉપાયો કરવા તે અંગે પણ બેઠકમાં સમીક્ષા કરાશે. એ સિવાય PM મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે તેઓના પ્રવાસને લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળાશયો અને ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. ભરૂચના નર્મદા નદી કિનારાના વિસ્તારોને તો એલર્ટ પણ કરી દેવાયા છે. ઉપરવાસમાંથી પાણી આવક વધતા ગમે ત્યારે નદીની સપાટીમાં વધારો થઇ શકે છે. આજ સાંજ સુધીમાં ભરૂચની નર્મદા નદીની સપાટી 28 ફૂટે પહોંચી શકે છે. આથી, નર્મદા, વડોદરા અને ભરૂચ નર્મદા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. બીજી બાજુ મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક વધતા મહિસાગર અને પંચમહાલના 128 ગામોને એલર્ટ કરી દેવાયા છે.
