રૂપાલના વરદાયિની માતાજીના મંદિરના પ્રાંગણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
Live TV
-
પલ્લીથી પ્રસિદ્ધ થયેલા ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામના વરદાયિની માતાજીના મંદિરની કથા પાંડવો સાથે જોડાયેલી છે. ઇતિહાસ એવો છે કે, દ્વાપરયુગમાં પાંડવોને બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો ગુપ્તવાસ મળ્યો હતો. ગુપ્તવાસમાં જતાં પહેલાં પાડવોએ પોતાના શસ્ત્રો અહીં ખીજડાના વૃક્ષ નીચે છુપાવ્યા હતા અને શસ્ત્રોની રક્ષા માટે વરદાયિની માતાજીને પ્રાર્થના કરી હતી. ગુપ્તવાસ પૂરો થતાં પાંડવો શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા, તેમણે શસ્ત્રોની પૂજા કરી અને પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવીને વરદાયિની માતાજી પાસે મૂકી હતી. પાંડવો માતાજીના આશીર્વાદ મેળવીને યુદ્ધમાં ગયા અને હસ્તિનાપુર પર વિજય મેળવ્યો. વિજય પછી પાંડવો ભગવાન શ્રીકૃષ્ણ સાથે રૂપાલ આવ્યા હતા ત્યારે તેમણે સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી એવી પણ કથા છે.
બીજી એક કથા એવી પણ છે કે, ભગવાન શ્રીરામે ત્રેતાયુગમાં શૃંગી ઋષિનાં આદેશથી લક્ષ્મણ અને સીતાજી સાથે વરદાયિની માતાજીની પૂજા કરી હતી. વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈને ભગવાન શ્રીરામને દિવ્ય શસ્ત્ર આપ્યું હતું. ભગવાન શ્રીરામે લંકામાં રાવણ સાથેના યુદ્ધમાં આ શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો.
સર્વધર્મ સમભાવના પ્રતીકસમું રૂપાલનું આ મંદિર હવે વધુ નયનરમ્ય અને અલૌકિક બન્યું છે. કુદરતના સાંન્નિધ્યમાં આવેલું આ મંદિર ગાંધીનગર જિલ્લાનું આસ્થા કેન્દ્ર છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થઇ. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વહેલી સવારે 1,160 સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાયા હતા. અઢી લાખ જેટલા નાગરિકો ઉત્સાહભેર સામૂહિક યોગમાં જોડાયા હતા. ગાંધીનગર જિલ્લાના ચાર વિશિષ્ટ સ્થળો-પ્રવાસનધામોના સાનિધ્યમાં યોગના યોગ નિદર્શન યોજાયા હતા. રૂપાલના વરદાયિની માતાજીના મંદિરના પ્રાંગણમાં પણ નાગરિકોએ આજે યોગ કર્યા હતા. રૂપાલ અને સોનીપુરના બાળકો સહિત ગામના આગેવાનો સહિત લગભગ 300 જેટલા લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અહીં પણ કરી હતી.
