કોરોના સંક્રમણ ઘટતા દેશના કેટલાક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ
Live TV
-
કોરોના સંક્રમણ ઘટતા દેશના કેટલાક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દિલ્હીમાં આજે સવારે 5 વાગ્યાથી અનલોક શરૂ થયું છે. આજથી બજારો, મોલ અને માર્કેટ કોમ્પલેક્ષમાં તમામ દુકાનો સવારે 10 વાગ્યેથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરેન્ટ 50 ટકા બેઠક ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. ખાનગી ઓફિસો 50 ટકા સ્ટાફ સાથે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
કર્ણાટકમાં 11 જિલ્લા સિવાયનાં અન્ય જિલ્લાઓમાં અનલોકની પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી છે. પાર્ક અને ઔદ્યોગિક એકમોને અમુક ગાઈડલાઈન સાથે ખોલવામાં આવી રહ્યા છે. તમિલનાડુમાં આજથી રાજ્યનાં લગભગ 27 જિલ્લાઓમાં વધુ છૂટ આપવાની જાહેરાત કરાઈ છે. પશ્ચિમી વિસ્તારમાં 7 અને કાવેરી ડેલ્ટા વિસ્તારનાં 4 જિલ્લા સિવાયનાં બાકીના 27 જિલ્લાઓમાં નવી છૂટ અમલી બનશે. હિમાચલ પ્રદેશમાં પણ આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. હવે દુકાનો સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આંતર રાજ્ય સાર્વજનિક વાહનવ્યવહાર પણ 50 ટકા બેઠક ક્ષમતા સાથે ફરીથી શરૂ થશે. જમ્મુ કાશ્મીરમાં તંત્ર દ્વારા આજથી 8 જિલ્લાઓમાં પ્રતિબંધોમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરાઈ છે. પૂર્વોત્તરમાં આસામ સરકારે કોવિડ-19 ની રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલા પોતાના તમામ કર્મચારીઓને આજથી કાર્યાલય આવવાનો આદેશ કર્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના મહામારીના કેસોમા સતત ઘટાડાને જોતા અગાઉથી જાહેર કરાયેલા કોવિડના નિયમોમાં રાહત ચાલુ રાખવામાં આવી છે. થાણે અને પુના સહિત મહારાષ્ટ્રનાં 21 જિલ્લાઓમાં આજથી સપ્તાહના કોરોના ટેસ્ટીંગનો દર અને બેડના આધારે પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવશે. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યુ કે આજથી પ્રદેશમાં લગ્ન સમારંભમાં 40 મહેમાનોને આંમત્રિત કરી શકાશે. નવા નિયમો 15 જૂન સુધી લાગુ રહેશે.
