પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ પરિયોજનાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રણ પરિયોજનાઓનું ઈ- લોકાર્પણ કર્યું. જેમાં યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ, કિસાન સૂર્યોદય યોજના અને ગિરનાર રોપવેનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રણ પરિયોજનાઓનું ઈ- લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીએ આજે મહેતા હોસ્પિ.માં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સાથે જ તેમણે 'કિસાન સૂર્યોદય યોજના' અને 'ગિરનાર રોપવે'નું પણ ઈ- લોકાર્પણ કર્યું હતું. આ યોજનાઓના ઈ-લોકાર્પણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલે સંબોધન કર્યું હતું. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ પરિયોજનાઓનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ
- મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢમાં ઉપસ્થિત
- ઉર્જામંત્રી સૌરભ પટેલ જૂનાગઢમાં ઉપસ્થિત
- DyCM નિતીન પટેલ યુ.એન. મહેતા હોસ્પિ.માં ઉપસ્થિત
જાણો આ ત્રણ મોટી પરિયોજનાઓ વિશે
કિસાન સૂર્યોદય યોજના
ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજય રુપાણીના નેતૃત્વમાં સિંચાઈ માટે દિવસે વીજળીનો પુરવઠો પ્રદાન કરવા તાજેતરમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારે પાંચ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી વીજળીના પુરવઠાનો લાભ મળી શકશે. રાજ્ય સરકારે વર્ષ 2023 સુધી આ યોજના અંતર્ગત ટ્રાન્સમિશન માળખાગત સુવિધા માટે રૂ. 3500 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 220 કેવી સબસ્ટેશન ઉપરાંત કુલ 3490 સર્કિટ કિલોમીટર (સીકેએમ)ની લંબાઈ ધરાવતી 234 ‘66-કિલોવોટ’ ટ્રાન્સમિશન લાઇન સ્થાપિત થશે.
આ યોજના અંતર્ગત વર્ષ 2020-21માં દાહોદ, પાટણ, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, તાપી, વલસાડ, આણંદ અને ગિર-સોમનાથને સામેલ કરવામાં આવ્યાં છે. બાકીના જિલ્લાઓને વર્ષ 2022-23 સુધી ક્રમશઃ રીતે આવરી લેવામાં આવશે.
યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ
પ્રધાનમંત્રી અમદાવાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ટેલી-કાર્ડિયોલોજી માટે એક મોબાઇલ એપ્લિકેશનનો આરંભ કરશે. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ હવે કાર્ડિયોલોજીમાં ભારતની સૌથી મોટી હોસ્પિટલ બની જશે. વળી આ ઇન્સ્ટિટ્યૂટ આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી માળખાગત સુવિધા અને તબીબી સુવિધાઓ ધરાવતી દુનિયાની પસંદગીની ખૂબ ઓછી હોસ્પિટલોમાં પણ સામેલ છે.
યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીનું વિસ્તરણ રૂ. 470 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે. આ વિસ્તરણ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી બેડની સંખ્યા 450થી વધીને 1251 થઈ જશે. ઇન્સ્ટિટ્યૂટ દેશમાં સૌથી મોટી સિંગલ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ બની જશે. અને દુનિયામાં સૌથી મોટી સિંગલ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલ પૈકીની એક પણ બની જશે.
એની ઇમારત ધરતીકંપ પ્રૂફ નિર્માણ, અગ્નિશામક હાઇડ્રન્ટ સિસ્ટમ અને ફાયર મિસ્ટ સિસ્ટમ જેવી સલામતીની સાવચેતીઓ સાથે સજ્જ છે. સંશોધન કેન્દ્રમાં ભારતની પ્રથમ ઓટી સાથે એડવાન્સ કાર્ડિયાક આઇસીયુ ઓન વ્હીલ્સ હશે, જે વેન્ટિલેટર્સ, આઇએબીપી, હીમોડાયાલીસિસ, ઇસીએમઓ વગેરે, 14 ઓપરેશન સેન્ટર અને 7 કાર્ડિયાક કેથેટરાઇઝેશન લેબ સાથે સજ્જ હશે, જે સંસ્થામાં શરૂ થશે.
ગિરનાર રોપવે
ગુજરાત એક વાર ફરી આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રમાં ચમકી ઉઠશે. પ્રધાનમંત્રીએ આજે ગિરનારમાં રોપવેનું ઉદ્ઘાટન કર્યું છે. શરૂઆતમાં આ 25થી 30 કેબિનની સુવિધા ધરાવશે, જેમાં કેબિનદીઠ 8 લોકોની ક્ષમતા હશે. હવે રોપવે દ્વારા 2.3 કિલોમીટરનું અંતર ફક્ત 7.5 મિનિટમાં કપાશે. આ ઉપરાંત રોપવે ગિરનાર પર્વતની આસપાસ હરિયાળીનું સુંદર અને રળિયામણું દ્રશ્ય પણ પ્રદાન કરવામાં આવશે.