ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં ફેરફાર, સીરીઝને બદલે મળશે પોઇન્ટ, ટોસ ઉછાળવાનું બંધ નહીં થાય
Live TV
-
અનિલ કુંબલેની આગેવાનીમાં યોજાયેલી આઇસીસી ક્રિકેટ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો
છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ટોસ ઉછાળવાનું બંધ કરવાની અટકળો પર વિરામ આવી ગયો છે, અનિલ કુંબલેની આગેવાનીમાં યોજાયેલી આઇસીસી ક્રિકેટ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આવતા વર્ષથી શરૂ થનારી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ટોસની પરંપરા ચાલુ રહેશે, એટલું જ નહીં ટેસ્ટ ક્રિકેટની આવતા વર્ષે યોજાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સીરીઝ જીતવા માટે ટીમના પોઇન્ટ ગણવામાં આવશે. મેચના પરિણામના આધારે પોઇન્ટ આપવામાં આવશે.
કમિટીએ ટેસ્ટ ચેમ્પિયનશિપની દરેક મેચને સમાન મહત્વ આપવા માટે મેચના પરિણામના આધાર પર પોઇન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. જે હાલ સીરીઝ આધારે આપવામાં આવે છે. જો ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં કોઇ ટીમ પ્રથમ બે ટેસ્ટ જીત પણ લે તો પણ ત્રીજા મેચનું પણ મહત્વ એટલું જ રહેશે, કારણ કે તેની અસર પછીના મેચમાં પડશે.
એશેજ-2015 દરમિયાન તત્કાલિન ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે ટેસ્ટ મેચમાં ટોસની પ્રથા દૂર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમનું કહેવું છે કે ટોસથી ઘરેલુ ટીમ દ્વારા પીચના મામલામાં દેવામાં આવતી દખલ દૂર થઇ જશે. પોઇન્ટિંગના આ વિચારને સ્ટીવ વો અને માઇકલ હોલ્ડિંગ જેવા દિગ્ગજોએ પણ સમર્થન આપ્યું હતું. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 2016માં રમાયેલી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ટોસ ન ઉછાળવાનો પ્રયોગ કર્યો હતો, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા સીરીઝને ધ્યાને રાખી બોલ ટેમ્પરિંગ અને મેચ દરમિયાન અયોગ્ય વ્યવહાર માટે આપવામાં આવતી સજાને આઇસીસીને વધુ કડક કરવાની ભલામણ કમિટીએ કરી છે. ઉલ્લેખનીય છે કે આ કમિટીમાં અધ્યક્ષ તરીકે અનિલ કુંબલે છે, અન્ય સભ્યોમાં એન્ડ્રુ સ્ટ્રોસ, માહેલા જયવર્ધને, રાહુલ દ્રવિદ, ટિમ મે, ન્યૂઝિલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી ડેવિડ વાઇટ, અમ્પાયર રિચર્ડ કેટલબોરોગ, આઇસીસી મેચ રેફરી પ્રમુખ રંજન મદુગલે, શોન પોલાક અને ક્લેરી કોનોરનો સમાવેશ થાય છે.