પોતાના માળાની ગૂંથણી માટે માહિર પક્ષી સુગરી
Live TV
-
સુગરી (વૈજ્ઞાનિક નામ: Ploceus philippinus)
જેમ પ્રેમ અને મીઠાસ થી તાણાવાણામાં વણાયેલા સંબંધો એક ઉત્કૃષ્ટ કુટુંબ અને સમાજ ની રચના કરે છે તેમ આ સુગરી પણ એક એક પાંદડાની પટ્ટી લઈ ખૂબ જ નજુકાઈથી આખો માળો ગૂંથે છે. ગૂંથણી માટે આજુબાજુમાં તાડ, ખજૂરી, નાળિયેરી જેવા વૃક્ષોમાંથી પટ્ટી ખેંચી ચાંચ માં લઇ લહેરાતી લહેરાતી માળા સુધી લાવે છે. જાણે કોઈ માનુની દુપટ્ટો લહેરાવતી સ્વયં સાથે એક હોય! શરૂઆતમાં માળો લીલા કલરનો હોય છે જે સમય જતા પાંદડાનાં સુકાવાને કારણે પીળાશ પડતા કલર નો દેખાવા લાગે છે. નરનો માળો જોઈ, માદા તેના તરફ આકર્ષાય છે અને માળાનાં નિરીક્ષણ માટે આવે છે. જો માળા ની બનાવટ પસંદ આવે તો બંને સજોડે માળો પૂર્ણ કરે છે. ઘણા સ્માર્ટ સુગરી તો ૩-૪ માળ નાં લાંબા માળા બનાવે છે. કુદરતી રક્ષણ માટે તેઓ તાડ તથા બાવળનાં કાંટા વાળા ઝાડ પર લટકતો માળો ગૂંથે છે જેથી સાપ તથા અન્ય જીવોથી રક્ષણ મળી રહે. ઉપરાંત, માળા માં અંદર દાખલ થવા માટે એક જ સાંકડો રસ્તો નીચેના ભાગે હોય છે. માળાનો વચ્ચેનો ભાગ જગ્યા વાળો, મોટા ગોખલા જેવો હોય છે જે બચ્ચાં ઉછેરવા માટે અનુકૂળ છે. સુગરી વસાહત માં રહેવાનું પસંદ કરે છે. એક સાથે ૫૦-૧૦૦ માળા એક જ વૃક્ષ પર લટકતા જોવા મળે તો પણ અચરજ પામવું નહીં. સુગરી ની એક વસાહત ચોમાસા દરમ્યાન ખંભાત નજીક નેજા માં માળા બનાવતી જોવા મળેલ છે.
સુગરી કદમાં ચકલી જેટલી મોટી એટલે કે ૧૫ સેમી કદની અને પીળા કલરની હોય છે. નર માં પીળો કલર ઘાટો હોય છે તથા ચાંચ ની નીચેનો ભાગ ઘાટો બ્રાઉન હોય છે. તથા પાંખ પર બ્રાઉન કલર ની પટ્ટીઓ હોય છે. માદા કલર માં નર કરતા આછાં રંગ ની હોય છે અને આસપાસ ના વાતાવરણ માં સહેલાઈથી ભળી જાય એવી કેમોફ્લજ હોય છે.
કુદરતે સર્જેલી આર્કિટેક સુગરી તેના બચ્ચાં મોટા થઈ જાય પછી માળો છોડી દેતા હોય છે. તેનો કલાપૂર્ણ માળો લોકો ઘરની શોભા માટે લઈ જતા હોય છે.
(જયેન્દ્ર ભાલોડીયા, ઈકો ફ્રેંડ્સ ગુજરાત)