જામનગરની જીજી હોસ્પિટલ લક્ષ્ય પ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મેળવનાર દેશની એકમાત્ર હોસ્પિટલ બની
Live TV
-
તપાસના રિપોર્ટમાં પ્રસુતિ વિભાગની ગુણવત્તા 97% અને મેટરનિટી ઓપરેશન થિયેટરની ગુણવત્તા 92% છે.
જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલના પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થિએટરમાં કેન્દ્ર સરકારનું લક્ષ્ય પ્રોગ્રામ હેઠળનું રાષ્ટ્રીય લેવલનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શનના રિપોર્ટ મુજબ લક્ષ્ય પ્રોગ્રામ હેઠળ જી.જી. હોસ્પિટલ અને એમ.પી.શાહ મેડિકલ કોલેજને લક્ષ્યનું નેશનલ લેવલનું રી-સર્ટીફિકેશન મળ્યું છે. આ પ્રકારે સતત બીજી વખત સર્ટિફિકેશન મેળવનાર ભારતની એકમાત્ર જામનગરની જી.જી. હોસ્પિટલ છે. તા.10-05-2022 અને તા.11-05-2022 ના રોજ દિલ્હીથી આવેલ ટીમ દ્વારા ગાયનેક વિભાગના પ્રસુતિ રૂમ અને ઓપરેશન થિએટરમાં વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામુલ્યે પુરી પાડે છે. જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મે-2022 માં લેબરરૂમ (પ્રસુતિ વિભાગ) અને મેટરનિટી ઓપરેશન થિયેટરનું લક્ષ્યનું નેશનલ લેવલનું ઇન્સ્પેક્શન હતું. LaQshya નો ઉદ્દેશ પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થિએટરમાં સગર્ભા માતાઓને અપાતી તમામ સેવાઓ તથા સારવારની ગુણવત્તા તેમજ તેની સુદ્ઢતાની ચકાસણી માટેનો છે.
ગાયનેક વિભાગના વડા ડો.નલિની આનંદે જણાવ્યું હતું કે, આ ઇન્સ્પેશન માટે દિલ્હી ખાતેથી ટીમ આવી હતી. અને જી.જી. હોસ્પિટલના પ્રસુતિરૂમ અને મેટરનિટી ઓપરેશન થિયેટરમાં ખુબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસના રિપોર્ટમાં પ્રસુતિ વિભાગની ગુણવત્તા 97% અને મેટરનિટી ઓપરેશન થિયેટરની ગુણવત્તા 92% છે. જે અંતર્ગત હોસ્પિટલને LaQshya પ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મળ્યું છે. આ અગાઉ વર્ષ 2017માં પ્રસુતિ વિભાગની ગુણવત્તા તેમજ સુદ્ઢતાની તપાસ કરવામાં આવી હતી. ત્યારે પ્રથમ વખત સર્ટિફિકેટ મળ્યું હતું. LaQshya પ્રોગ્રામ હેઠળ બનાવેલી ટીમ દ્વારા ડોક્યુમેન્ટેશન, દર્દીઓના રીવ્યુ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને લેબોરેટરીના સાધનોની ચકાસણીના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને તેના આધારે ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. આ રિપોર્ટ ગાયનેક વિભાગ તેમજ જી.જી. હોસ્પિટલ અને સમગ્ર જામનગર માટે ગૌરવની વાત છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દ્વારા 11 ડિસેમ્બર 2017 ના રોજ LaQshya પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. LaQshya નો ઉદ્દેશ્ય પ્રસુતિ રૂમ અને મેટરનિટી ઓપરેશન થિયેટર (OT)માં સંભાળની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. તેમજ માતૃત્વ અને નવજાત શિશુની બિમારી અને મૃત્યુદરમાં ઘટાડો, ડિલિવરી અને તાત્કાલિક પોસ્ટપાર્ટમ સમયગાળા દરમિયાન સંભાળની ગુણવત્તામાં સુધારો, લાભાર્થીઓનો સંતોષ વધારવો, સકારાત્મક પ્રસૂતિ અનુભવ અને જાહેર આરોગ્ય સુવિધાઓમાં હાજરી આપતી તમામ સગર્ભા સ્ત્રીઓને આદરણીય પ્રસૂતિ સંભાળ (RMC) પ્રદાન કરવાનો છે.
