30 વર્ષની ઉંમરે ચેતનકુમાર બ્રેઈનડેડ થતા, 4 વ્યક્તિઓને નવજીવન આપ્યું
Live TV
-
બ્રેઈન ડેડ 30 વર્ષીય ચેતનકુમાર ચૌહાણના પરિવારે, તેમના અંગનું દાન કરવાનો નિર્ણય કરતા તેમનું હૃદય, 2 કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું.
"અંગદાન મહાદાનના" હેતુથી, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બુધવારે 80મુ અંગદાન કરવામાં આવ્યું હતું. બ્રેઈન ડેડ 30 વર્ષીય ચેતનકુમાર ચૌહાણના પરિવારે, તેમના અંગનું દાન કરવાનો નિર્ણય કરતા તેમનું હૃદય, 2 કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમના અંગદાનથી 4 લોકોને નવું જીવન મળ્યું છે.. તો સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 230 પીડિતને નવું જીવન મળી ચૂક્યું છે.
સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ પહોંચાડવા માટે અમદાવાદ પોલીસની મદદથી ગ્રીનકોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી. ગ્રીનકોરિડોર મારફતે 8 મિનિટ કરતા પણ ઓછા સમયમાં અમદાવાદ એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું. ચેતનભાઇનું હ્રદય 525 કિ.મી. દૂર મુંબઇની રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું. જ્યાં 42 વર્ષીય દર્દીમાં સફળતાપૂર્ણ હ્રદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. ચેતનભાઇની બે કિડની અને લીવર સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે જન જનમાં મદદની મુહિમ બન્યો છે. સમાજમાં પ્રવર્તી રહેલી અંગદાનની રોજબરોજની જનજાગૃતિના પરિણામે આજે લોકો સ્વૈચ્છાએ પણ અંગદાન માટે સંમતિ આપતા થયા છે. અંગદાનની પ્રવૃતિ સાથે સંકળાયેલા તબીબ ડો. નિલેશ કાછડિયા જણાવે છે કે, દર્દીને બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ પરિવારજનોને અંગદાન માટે કાઉન્સેલિંગ કરવું શરૂઆતના સમયમાં અત્યંત પડકારજનક હતું. સમાજસેવી સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તેલી જનજાગૃતિના પરિણામે આજે કાઉન્સેલિંગમાં ખૂબ જ ઓછો સમય લાગે છે. અનેક પરિવારો સ્વેચ્છાએ અંગદાન માટેની ઇચ્છા દર્શાવે છે.
