મુખ્યમંત્રીના હસ્તે રાજ્યવ્યાપી વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ, 19 જુલાઈ સુધી યોજાશે આ યાત્રા
Live TV
-
રાજ્યભરમાં 2,500થી વધુ કાર્યક્રમો યોજવામાં આવશે અને 25,000થી વધુ નવા વિકાસકાર્યોની જાહેરાત અને લોકાર્પણ કરવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં થયેલા વિકાસકાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના હેતુ સાથે મંગળવારથી સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી આ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. 82 વંદે ગુજરાત વિકાસ રથ સાથે 19 જુલાઈ સુધી આ યાત્રા યોજાશે. રાજ્યના 33 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓ અને તમામ ગામડાઓ અને વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં 2,500થી વધુ કાર્યક્રમો યોજવામાં આવશે અને 25,000થી વધુ નવા વિકાસકાર્યોની જાહેરાત અને લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. આઝાદીના જંગમાં આગેવાની લેનારૂં ગુજરાત આજે દેશના ગ્રોથ એન્જીન તરીકે વિકાસની આગેવાની લઇ રહ્યું છે. બોડી વોર્ન કેમેરા જેવા આયામો સાથે શાંતિ-સુરક્ષા વધુ મજબૂત બનાવી છે. સ્ટાર્ટ અપ રેંકીંગમાં ગુજરાત પ્રથમ છે. MSME ઔદ્યોગિક ઉત્પાદન વગેરે ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. વિકાસની સાથે સાથે ગુજરાત પ્રવાસન માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત યાત્રા-ધામોથી બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય રાકેશ શાહ, AMC કમિશનર લોચન સહેરા રાજ્ય સરકારના વિવિધ વિભાગાનો અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાંધેજા ખાતેથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત વર્ષ 2002થી એક પછી એક નવી ઊંચાઈ સર કરે છે... તેમણે વંદે ગુજરાતને રાજકીય કાર્યક્રમ નહીં પણ ગુજરાતની વિકાસગાથા ગણાવી હતી.
