10 જુલાઈ સુધી દ્વારકા, પોરબંદર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
Live TV
-
આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી.
ગાંધીનગરમાં મંગળવારે રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. 10 જુલાઈ સુધી દ્વારકા, પોરબંદર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી. અગાઉ ગીરસોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં બે એમ કચ્છ સહિત કુલ 9 NDRFની ટીમો તથા પોરબંદર જિલ્લા ખાતે SDRFની 1 ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે. વરસાદની આગાહીને ધ્યાને લઈને તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.
કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે 4 જુલાઈ 2022 સુધીમાં અંદાજિત 30,20,616 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 40,53,982 હેક્ટર વાવેતર થયું હતું. સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં 1,44,070 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 43.12% છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,87,629 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 33.61% છે. હાલમાં રાજ્યમાં એક જળાશય હાઇ એલર્ટ પર તેમજ એક જળાશય વોર્નિંગ પર છે.
