રાજ્યમાં 10 માર્ચથી શરૂ થશે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી
Live TV
-
તુવેર માટે 135, ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા.
રાજ્યમાં આગામી 10 માર્ચ, 2023 ના રોજથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ઉત્પાદકોની ખરીદી અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ ટેકાના ભાવે ખરીદી સંદર્ભે આગોતરા આયોજન અને તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ 2,500 કિ.ગ્રા. એટલે કે, 125 મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે 135, ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે 5,550, ચણા માટે 2,20,175 અને રાયડા માટે 10,164 ખેડૂતોએ નોંધણી કરાવી છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર માટે રૂ. 6,600 પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. 5,335 પ્રતિ ક્વિ. અને રાયડા માટે રૂ. 5,450 પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે પી.એસ.એસ. હેઠળ તુવેર માટે 1,00,196 ચણા માટે 3,88,000 અને રાયડા માટે 1,25,300 મેટ્રિક ટન જથ્થો મંજૂર કર્યો છે. આ ઉપરાંત ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યની નોડ્લ એજન્સી તરીકે ગુજકોમાસોલ અને તુવેરની ખરીદી માટે ઈન્ડીએગ્રો કંસોર્ટીયમ પ્રોડ્યુસર કંપનીની નિમણુંક કરવામાં આવી છે.