સુજલામ-સુફલામ યોજના હેઠળ કરોડો રૂપિયાના કામને CMએ આપી મંજૂરી, 135 ગામોના ખેડૂતોને મળશે લાભ
Live TV
-
કસરા - દાંતીવાડા પાઈપલાઈન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતનાં 135 ગામોના ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનોને સિંચાઈના અને પીવાનાં પાણી પહોંચાડવાનો મહત્વનો અભિગમ અપનાવ્યો છે. તેનાથી રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા બનાસકાંઠામાં પીવાના તેમ જ સિંચાઈ માટેના પાણીની સમસ્યાનું નિવારણ આવશે. મુખ્યમંત્રીએ સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. તેમણે ડીંડરોલ - મુક્તેશ્વર પાઈપલાઈનના 192 કરોડ રૂપિયાનાં કામો મંજૂર કર્યાં છે. નર્મદા મુખ્ય નહેરની સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠાના પૂર્વ વિસ્તારોમાં સિંચાઈની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી થશે. કસરા-દાંતીવાડાની પાઈપલાઈન દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી 300 ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠાના 4 તાલુકાના 73 ગામોનાં ૧૫૬ તળાવો અને પાટણ જિલ્લાના બે તાલુકાના 33 ગામોનાં 96 તળાવો ભરવામાં આવશે. આ તળાવો ભરવામાં આવતાં આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. ઉપરાંત, 30,000થી વધુ ગ્રામીણ ખેડૂત પરિવારોને સિંચાઈ માટે, પશુધન માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે.
