આજે સ્વાતંત્ર્ય સેનાની રામ પ્રસાદ બિસ્મિલજીની જન્મજયંતી, આવો જાણીએ જીવન-કવન અંગેની કેટલીક રોચક માહિતી
Live TV
-
'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ' રામપ્રસાદજી દ્વારા લખાયેલી આ પ્રસિદ્ધ દેશક્તિની રચનાએ લોકોમાં દેશભક્તિની ભાવના જગાડી હતી. રામ પ્રસાદ બિસ્મિલ મહત્વના સ્વતંત્રતા સેનાની હતા. તેમનો જન્મ 11 જૂન, 1897નાં રોજ શાહજહાપુર, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમનાં પિતા મુરલીધર શાહજહાપુર નગરપાલિકામાં કામ કરતા હતા. આવો આજે તેઓની જન્મજયંતી નિમિત્તે તેમના જીવન-કવન અંગેની કેટલીક રોચક માહિતી જાણીએ.
દેશની સ્વતંત્રતા માટે પ્રાણ ન્યોછાવર કરનાર ક્રાંતિકારીઓમાં અણમોલ રતન પંડિત રામ પ્રસાદ બિસ્મિલ વિશે કેટલીક રોચક માહિતી :
રામ પ્રસાદ બિસ્મિલજી ક્રાંતિકારી જ નહીં પરંતુ બહુભાષાવિદ, સાહિત્યકાર, ઉચ્ચ કોટિના કવિ, શાયર અને અનુવાદક પણ હતા. તેઓ પોતાની કવિતાઓ " બિસ્મિલ "ઉપનામથી લખતા હતા.ભારત માતાના મહાન સપૂત હતા, જેમણે ભારતની આઝાદી કાજે પોતાના પ્રાણની આહુતિ ધરી દીધી હતી. એમના પિતાશ્રી મુરલીધર, શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. માત્ર ૩૦ વર્ષની વયે દેશદાઝ ખાતર તેમણે શહીદી વહોરી લીધી હતી.અંગ્રેજોના દાંત ખાટા કરી નાખનારી કાંકોરી ટ્રેન લૂંટ માટે બિસ્મિલજીને વધુ ઓળખવામાં આવે છે. ૯ ઓગસ્ટ ૧૯૨૫ ના દિવસે થયેલી કાંકોરી લૂંટે એ દિવસોમાં અંગ્રેજ સલ્તનતને હચમચાવી નાખી હતી. અંતે એ જ ઘટના ઉપર તેમના પર કેસ ચાલ્યો અને કેસ પછી બિસ્મિલજી, અશફાક ઉલ્લા ખા, ઠાકુર રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી સહિતના બધાને ફાંસીની સજા થઈ. ૧૯૨૭ની ૧૯ ડીસેમ્બરે બ્રિટિશ શાસને તેમને ગોરખપુર જેલમાં ફાંસી પર ચઢાવી દીધા હતા. તેમણે પોતાની શાયરીમાં દેશભક્તિનો કેસરિયો રંગ એવો ઘોળ્યો હતો કે તેમની રચનાઓ એ સમયે ક્રાંતિકારો માટે પ્રેરક બની રહી હતી.ક્રાંતિકારીઓને જૂસ્સો બૂલંદ બનાવવા માટે બિસ્મિલજીની રચનાઓનું ગાયન થતું હતું.એ એટલે સુધી કે કેટલાય ક્રાંતિકારીઓ બિસ્મિલજીની શહાદત પછી અને પહેલા પણ આ રચના ગાતા ગાતા હસતા હસતા ફાંસીને માચડે ચઢી જતા હતા.બિસ્મિલજીની ઉર્દૂ અને હિંદી બંને ભાષા ઉપર સારી પક્કડ હતી. તેમની સૌથી વિખ્યાત રચના સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ.
બિસ્મિલજી આર્ય સમાજ સાથે જોડાયેલા હતા. જ્યા તેમને સત્યાર્થ પ્રકાશ નામના પુસ્તકથી પ્રેરણા મળી હતી. સત્યાર્થ પ્રકાશને સ્વામી દયાનંદ સરસ્વતીએ લખ્યું હતું. પોતાનાં ગુરૂ અને આર્ય સમાજનાં પ્રચારક સ્વામી સોમદેવના માધ્યમથી તેમનો લાલા હરદયાસ સાથે સંપર્ક થયો હતો. તેઓ હિન્દુસ્તાની રિપબ્લિકન એસોસિએશન નામના ક્રાંતિકારી સંગઠનના સંસ્થાપક સભ્ય હતા. ઉત્તર રેલ્વેએ એક સ્ટેશનનું નામ તેમના સન્માનમાં પંડિત રામ પ્રસાદ બિસ્મિલ રેલ્વે સ્ટેશન રાખ્યું હતું. 19 ડિસેમ્બર, 1997નાં રોજ ભારત સરકાર દ્વારા તેમની 100મી જયંતીના ઉપલક્ષ્યમાં એખ યાદગાર ટપાલ ટિકિટ પણ ઇશ્યું કરવામાં આવી હતી.
