નિયંત્રણ તરફ કોરોના: સૌથી વધુ લોકોનું રસીકરણ કરવામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
Live TV
-
ભારતમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે કોરોના રસીકરણ અભિયાન, સૌથી વધુ લોકોનું રસીકરણ કરવામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે. છેલ્લા 24 કલાકમાં 84,332 નવા કેસો સાથે સક્રિય કેસની સંખ્યા 10,80,690
દેશમાં કોરોના મહામારી સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. ત્યારે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 84,332 કેસ નોંધાયા છે, 1 લાખ 21 હજાર 310 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે તેમજ કોરોનાથી 4,002 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હાલ 10 લાખ 80 હજાર 690 સક્રિય કેસો સાથે અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 2 કરોડ 93 લાખ 59 હજાર 155 એ પહોંચી છે.
બીજી તરફ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 24 કરોડ 96 લાખ 304 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે, જયારે છેલ્લા 24 કલાકમાં જ 34 લાખ 33 હજાર 763 લોકોને રસી આપી, કોરોના સામે રક્ષિત કરવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધી રસીના 24 કરોડ 61 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. સાથે જ કોરોનાના અલગ અલગ વેરિયન્ટને ધ્યાનમાં રાખીને સતર્કતા રાખવી જરૂરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ટૂંક સમયમાં જ ICMR દ્વારા સીરો સર્વેની શરૂઆત કરશે. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પણ સીરો સર્વે હાથ ધરવાની અપીલ કરી હતી.
આ ઉપરાંત ગઈકાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સલાહ આપી હતી કે, રસીકરણના સ્ટોક અને તેના ભંડારણ સમયની મુખ્ય જાણકારી જાહેરમાં બહાર પાડવી નહીં. આ પ્રકારની માહિતી બહાર પાડતા પહેલાં રાજ્યએ કેન્દ્ર સરકાર પાસેથી અનુમતી લેવી પડશે.
