પ્રધાનમંત્રી આજે G-7 શિખર સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લેશે ભાગ
Live TV
-
આજથી શરુ થનાર G-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લેશે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, રિપબ્લિક ઓફ કોરિયા અને સાઉથ આફ્રિકાને પણ G-7 શિખર સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી શરુ થનાર G-7 શિખર સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લેશે. G-7 એ વિશ્વના 7 સૌથી મોટા વિકસિત અર્થતંત્રોનું એક જૂથ છે. જેમાં યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુ.એસ. જેવા દેશો સમાવિષ્ટ છે. હાલમાં G -7 નું પ્રમુખપદ બ્રિટન સંભાળે છે. યુકેના પ્રધાનમંત્રી બોરીસ જ્હોનસનના આમંત્રણને માન આપીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમજ આવતી કાલે આ વર્ચ્યુ્લ G-7 શિખર મંત્રણામાં ભાગ લેશે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, રિપબ્લિક ઓફ કોરિયા અને સાઉથ આફ્રિકાને પણ G-7 શિખર સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ વખતની મંત્રણાનો વિષય ‘બિલ્ડ બેક બેટર’ રાખવામાં આવ્યો છે અને બ્રિટને તેના માટે ચાર પ્રાથમિક પાસાઓ નક્કી કર્યા છે. જે અંતર્ગત ભવિષ્યમાં મહામારીનો મજબૂતીથી સામનો કરવા માટે કોરોના વાયરસમાંથી વૈશ્વિક સ્વસ્થતા, મુક્ત અને વાજબી વેપારની ઝુંબેશ દ્વારા ભવિષ્યની સમૃદ્ધતાનો વિકાસને પ્રોત્સાહન આપવું, આબોહવા પરિવર્તનનો સામનો કરવો અને પૃથ્વીના જીવનમૂલ્યોનું રક્ષણ કરવું તેમજ સમાજના સહિયારા મૂલ્યોનું રક્ષણ કરવા જેવા પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આરોગ્ય અને આબોહવા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ શિખરમાં નેતાઓ કોરોનાની મહામારી સામે વૈશ્વિક સજ્જતા તરફ આગળ ધપવા અંગે પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરશે.
આવો આ બીજો અવસર છે જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G -7 શિખર સંમેલનમાં ભાગ લેશે. આગાઉ 2019 માં G-7 ફ્રેન્ચ પ્રેસિડેન્સી દ્વારા બાયરિટીઝ શિખરમાં ભારતને સદભાવના ભાગીદાર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રીએ ‘આબોહવા, જૈવ વિવિધતા અને સમુદ્ર’ તથા ‘ડિજિટલ ક્રાંતિ’ અંગેના પરિસંવાદમાં ભાગ લીધો હતો.
