‘યોગ, ભારતીય ધરોહર’ થીમ સાથે સમગ્ર ભારતમાં 75 ધરોહર સ્થળોએ યોગ કાર્યક્રમો યોજવામાં આવ્યા
Live TV
-
સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે આજે દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે સાંસ્કૃતિક અને પર્યટન માટેના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી પ્રહલાદ સિંહ પટેલે સાંસ્કૃતિક અને પર્યટન મંત્રાલયના અધિકારીઓ, યોગ નિષણાતો અને યોગ ચાહકોની સાથે યોગ કર્યા હતા. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી ‘યોગ, એક ભારતીય ધરોહર’ ઝુંબેશની આગેવાની લઈ રહ્યા હતા. આઝાદીના 75 વર્ષોની ઉજવણી કરવા માટે સમગ્ર દેશના 75 સાંસ્કૃતિક ધરોહરના સ્થળોએ મંત્રાલયની તમામ સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલની મહામારીને સ્થિતિને ધ્યાનમાં રાખીને, દરેક સ્થળે યોગ માટે ભાગ લેનારાની સંખ્યા 20 સુધી નિયંત્રિત રાખવામાં આવી હતી. યોગના નિદર્શન પૂર્વે, કેન્દ્રીય મંત્રી અને કાર્યક્રમમાં હાજર રહેલાએ આંતરરાષ્ટ્રીય યોગ દિનના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
લાલ કિલ્લા પર યોગ ઉજવણી બાદ પત્રકારો સાથે વાત કરતા પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું હતું કે, યોગ આપણો ઐતિહાસિક વારસો છે. આ વેલનેસ મંત્ર સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીને જાય છે. અને એના પરિણામે, આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યો છે અને લોકોએ યોગને એમનાં જીવનનું અભિન્ન અંગ બનાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આઝાદીના 75 વર્ષોને ઉજવવા માટે અમૃત મહોત્સવના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 ઉજવવામાં આવી રહ્યો છે. એ અનુસાર, સાંસ્કૃતિક મંત્રાલયે સમગ્ર દેશમાં 75 ધરોહર સ્થળોએ યોગ કાર્યક્રમો આયોજિત કર્યા છે. તેમણે યુવાઓને, તંદુરસ્ત અને ખુશહાલ ભવિષ્ય માણવા માટે યોગને એમનાં જીવનમાં વણી લેવાનો અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે વિશ્વને એમયોગ એપ આજે મળી રહી છે, આ એપ સામાન્ય યોગ પ્રોટોકોલ્સના આધારે ઘણી બધી ભાષાઓમાં યોગની તાલીમના ઘણા વીડિયો પૂરાં પાડશે. તેમણે ઉમેર્યું હતું કે એમયોગ એપ વિશ્વના તમામ લોકોને તંદુરસ્ત અને ખુશહાલ જીવન જીવવામાં મદદ કરશે. લાલ કિલ્લા ખાતે આચાર્ય પ્રતિષ્ઠાના માર્ગદર્શનમાં યોગ આસનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સાંસ્કૃતિક સચિવ રાઘવેન્દ્ર સિંહ, ભારત સરકારના પર્યટન સચિવ શ્રી અરવિંદ સિંહ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ યોગ ઝુંબેશમાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક મંત્રાલયે ઇલોરાની ગુફાઓ (ઔરંગાબાદ), નાલંદા (બિહાર), સાબરમતી આશ્રમ (ગુજરાત), હમ્પી (કર્ણાટક), લડાખ શાંતિ સ્તુપ (વિદિશા), શીશ મહલ ( પતિયાલા), રાજીવ લોચન મંદિર (છત્તીસગઢ), બૉમ્ડિલા (અરૂણાચલ પ્રદેશ) અને અન્ય જેવા સાંસ્કૃતિક ધરોહરના સ્થળોએ યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
